Mar 15, 2009

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?


નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના!


કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના!


છો ને ફર્યા, નથી કંઈ દી’થી ડરી જવાના!
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના!


મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે
પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના!


એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે,
હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના!


સ્વયં વિકાસ છીંએ, સ્વયં વિનાશ છીંએ!
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના!


સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીંએ!
દીપક નથી અમે કૈં ઠાર્યા ઠરી જવાના!


અય કાળ, કંઈ નથી ભય, તું થાય તે કરી લે,
ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના!


દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના.



અમૃત ‘ઘાયલ’

3 comments:

Siddharth Mistry said...

nice blog.... visit mine .. u will like it... i like poems also..

Prerak05 said...

Very nice. Thanks a lot for this poem, It is one of my most favourite poems.

Sangeeta said...

Hi Nista. Good Gujarati post. Thank you for sharing with me. I liked this poem a lot. I am following your blog. Sms2Text